
*કલેકટરની અચાનક મુલાકાત બાદ ગિરા ધોધ ખાતે સ્વચ્છતા અભિયાન તેજ બન્યું ,*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આંબાપાડા ગિરા ધોધ પરિસરમાં કચરાના ઢગલા જોઈ કલેકટરની સૂચના નું પાલન કરી, લારી-ગલ્લા વેપારીઓ અને પરિસર મંડળીઓએ સંયુક્ત રીતે સફાઈ હાથ ધરી,
વઘઈ : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ આંબાપાડા ખાતે આવેલા પ્રસિદ્ધ ગિરા ધોધની ડાંગ જિલ્લા કલેકટર દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવતા ધોધ પરિસરમાં ઠેર-ઠેર જોવા મળેલા કચરાના ઢગલાઓ અંગે ગંભીરતા વ્યક્ત કરવામાં આવી હતી. કલેકટર દ્વારા ગિરા ધોધ પરિસરની સ્વચ્છતા જાળવવા માટે લારી-ગલ્લા ધારકો તેમજ પરિસર મંડળીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
કલેકટરની સૂચનાને પગલે ગિરા ધોધ પરિસર મંડળીના સભાસદો તથા લારી-ગલ્લાના વેપારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સંગઠિત થઈ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પરિસરમાં પડેલો કચરો એકત્ર કરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
આ સાથે ગિરા ધોધ પરિસર મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા સ્થાનિક ગ્રામજનો તેમજ વેપારીઓને ગિરા ધોધની સુંદરતા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ દ્વારા ખુલ્લામાં કચરો ન નાખવામાં આવે તેમજ કચરો કચરાપેટીમાં જ નાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
ગિરા ધોધ ડાંગ જિલ્લાના મહત્વના પ્રવાસન સ્થળોમાંનું એક હોવાથી અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓ પણ સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે તે જરૂરી છે. ગિરા ધોધની પ્રાકૃતિક સુંદરતા જળવાઈ રહે અને પ્રવાસીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે સતત સ્વચ્છતા કામગીરી કરવાની પણ અપીલ કરવામાં આવી છે.