
*ડાંગનાં વાસુર્ણા ખાતે ૧૦૧ યુગલોના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન*
ઝાકિર ઝંકાર
આહવા તા ૧૬
ડાંગ જિલ્લાનાં વાસુર્ણા સ્થિત તેજસ્વીની સાંસ્કૃતિક ધામ ખાતે આજે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પવિત્ર પ્રસંગે ૧૦૧ યુવક-યુવતીઓએ એક સાથે હિન્દુ ધાર્મિક વિધિ અનુસાર પ્રભુતામાં પગલા પાડી નવી જીવનયાત્રાનો આરંભ કર્યો હતો.એક જ માંડવા હેઠળ યોજાયેલા આ વિરાટ સમૂહ લગ્નોત્સવમાં સંતો, સામાજિક આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલ,ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણેનવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેજસ્વીની સાંસ્કૃતિક ધામના આ સેવાભાવી પ્રયાસને બિરદાવ્યો હતો. ડાંગ જિલ્લો ગરીબ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં અનેક યુવક-યુવતીઓ આર્થિક સંકડામણને કારણે લગ્નનું સ્વપ્ર અધૂરું રાખવા મજબૂર બને છે. કેટલાક કિસ્સાઓમાં તો લગ્ન વગર વર્ષો સુધી લિવ-ઇન રિલેશનશિપમાં જીવન પસાર કરવાની પરિસ્થિતિ પણ સર્જાય છે. આવા કપરા સંજોગોમાં તેજસ્વીની સાંસ્કૃતિક ધામ વાસુર્ણા દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ ગરીબ આદિવાસી પરિવારો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ સેવાકાર્ય થકી ૧૦૧ યુગલોને સામાજિક અને ધાર્મિકમાન્યતા સાથે જીવનસાથી તરીકે જોડાવાનો અવસર મળ્યો છે. આ સમગ્ર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રણેતા પૂજ્ય ડૉ. હેતલ દીદી, આચાર્ય ડૉ કેતનદાદા તેમજ ઉત્સવ પ્રમુખ ધનસુખભાઈએ વિશેષ જહેમત ઉઠાવી હતી. તેમની આગેવાની અને ઉત્કૃષ્ટ સેવાભાવના કારણે કાર્યક્રમ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ધાર્મિક વિધિઓ, મંત્રોચ્ચાર અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે ૧૦૧ યુગલોએ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી નવી જીવનયાત્રાનો શુભારંભ કર્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ સંસ્થાને અભિનંદન પાઠવી આવા સેવાકીય કાર્યક્રમો સતત ચાલુ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.