

*ગારખડી ૧૦૮ એમ્બ્યુલન્સની તત્પરતાથી માતા અને નવજાત બાળકને મળ્યું નવજીવન :*
–
*૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માત્ર પરિવહન નહીં પરંતુ જીવનરક્ષક સેવા છે, જ્યાં તાલીમબદ્ધ સ્ટાફની તત્પરતા અને નિષ્ઠાથી અનેક જીવ બચી રહ્યા છે*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૫:
ડાંગ જિલ્લાના કાકશાળા ગામની પ્રસૂતા માતા તારાબેન લાઝરસભાઇ ગામિત ઉંમર વર્ષ ૨૬ જેઓને સુબીર સી.એચ.સી થી આહવા સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ ઇમરજન્સી સેવા મારફત રીફર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસૂતા માતાની બીજી વારની પ્રેગ્નન્સી હતી. પ્રસૂતાને લેબર પેન, પગે સોજો, હાઇ બીપી, હોવાથી રીફર કરવામાં આવ્યાં હતાં. દરમિયાન પ્રસૂતાને દુખાવો ઉપડતા રસ્તામાં જ ૧૦૮ ની ટીમ દ્વારા સુબીર તાલુકાના ગાયગોઠણ ગામે અંદાજિત સમય ૧૦:૪૦ સફળ ડિલિવરી કરાવી હતી.
જે બાદ ૧૦૮ ની ટીમ દ્વારા અમદાવાદના ફિઝીશિયન ડોક્ટર સાથે વાતચીત કરી જરૂરી માર્ગદર્શન મેળવી એડવાઇઝરી પ્રમાણે જરૂરી ઇન્જેક્શન અને સારવાર આપી હતી. જે બાદ સફળતા પુર્વક માતાને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
૧૦૮ ટીમમાં EMT કપિલ બાગુલ અને પાઇલોટ કીરણ ભોયે દ્વારા સમયસુચકતા વાપરીને પ્રસૂતા માતાની સારસંભાળ લીધી હતી. જે બદલ પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી સેવા વર્ષ ૨૦૦૭ માં શરૂ કરવામાં આવી હતી. એક જ ફોન કોલ પર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનાર ૧૦૮ ઇમરજન્સી સેવા એ ૧૮ વર્ષમાં લાખ લોકોના જીવ બચ્યા છે. ડાંગ જિલ્લાની આ ઘટનાએ ફરી એકવાર બતાવે કે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માત્ર પરિવહન નહીં પરંતુ જીવનરક્ષક સેવા છે, જ્યાં તાલીમબદ્ધ સ્ટાફની તત્પરતા અને નિષ્ઠાથી અનેક જીવ બચી રહ્યા છે. આપત્તિનાં સમયમાં લાખો લોકોના જીવન બચાવનાર ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સમાન બની ગઈ છે.
–