*વઘઈ-સાપુતારા માર્ગ ઉપરનો ‘નંદી ઉતારા’ બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે વધુ એક માસ માટે પ્રતિબંધિત જાહેર કરાયો :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૦
ગિરિમથક સાપુતારા ને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના ‘નંદી ઉતારા’ મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિજ ‘ક્રિટીકલ પુઅર કેટેગરી’મા આવતા, ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે વધુ એક માસ સુધી પ્રતિબંધિત જાહેર કરાયો છે.
કાર્યપાલક ઈજનેરશ્રી, ડાંગ (મા×મ) વિભાગ (રાજય) હસ્તકના વઘઈ પેટા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વઘઇ-સાપુતારા રોડ પરના આ બ્રિજનુ નિર્માણ સને ૧૯૫૯/૬૦ દરમિયાન કરાયુ હતુ. ૧૦૮ મીટરની લંબાઈ ધરાવતા આ મેજર બ્રિજને બંધ કરાતા, અહીંથી પસાર થતા ભારે કોમર્શિયલ વાહનોને જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગ (૧) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બિલ્ધા-આવધા-ધરમપુર રોડ, તથા (૨) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બોપી-કાવડેજ-વાંસદા રોડનો ઉપયોગ કરવા એક જાહેરનામા દ્વારા જણાવાયુ છે. આ બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા ચકાસણી કરી વધુમાં વધુ ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રિક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા ના અભિપ્રાય સાથે સહમત થઇ ૨૫ સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રિક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા દેવા સાથે ૨૫ ટન થી વધુ ભારે કોમર્શિયલ વાહનોને અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર તેનો ભંગ/ઉલ્લઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩ (૧) (બી) હેઠળ શિક્ષાને પાત્ર ઠરી શકે છે. ડાંગ જિલ્લામા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી તથા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હસ્તકના કાર્યપાલક ઇજનેરશ્રી, સહાયક પ્રાદેશિક વહાનવ્યવહાર અધિકારીશ્રીને આ જાહેરનામાની અમલવારી અંગે સૂચના આપવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગિરિમથક સાપુતારા ખાતે આવતા પર્યટકોની ફેમિલી કાર સહિતના નાના વાહનો, GSRTC ની બસો, દૂધ વહન કરતા વાહનો, અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મુક્તિ આપવામા આવેલા વાહનો આ માર્ગનો ઉપયોગ કરી શકે છે.
–