માંગરોળ: શહેરના બાયપાસ રોડ પર હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે. કેશોદ ચોકડીથી પોરબંદર તરફ જતા નેશનલ હાઇવે પર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પર અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે. હાલમાં વરસાદી વાતાવરણ અને ઓછી દૃશ્યતા વચ્ચે હાઇવેની લાઇટો બંધ હોવાથી અકસ્માતની શક્યતા વધુ વધી ગઈ છે.
રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો સમયસર હાઇવે ઓથોરિટી દ્વારા સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોએ હાઇવે ઓથોરિટીને તાત્કાલિક કાર્યવાહી કરીને બંધ સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા અને માર્ગને સુરક્ષિત બનાવવા માંગ કરી છે.
રિપોર્ટ: ઇમરાન બાંગરા, માંગરોળ