
*વઘઈ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે ‘વિકાસ સપ્તાહ–૨૦૨૬’ અંતર્ગત વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો :*
–
*‘એક વિદ્યાર્થી–એક વૃક્ષ’ના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને તેના જતન માટે પ્રેરિત કરાયા :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ વઘઈ*
કોલેજો ‘વિકાસ સપ્તાહ–૨૦૨૬’ની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈ ખાતે ‘સ્વચ્છતા ઝુંબેશ’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી ક્રાંતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
કૉલેજના આચાર્યશ્રી ડૉ. જે. એમ. ભોયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાના ઘર આંગણે કે ગામના જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
વર્તમાન સમયમાં જળવાયુ પરિવર્તન, વધતું પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી અસંતુલન જેવા ગંભીર પડકારો સામે વૃક્ષો અને જંગલો સુરક્ષા કવચ સમાન છે. પૂર, ભારે વરસાદ, ભૂસ્ખલન અને જમીનનું ધોવાણ અટકાવવા તેમજ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવામાં વૃક્ષો અનિવાર્ય ભાગ ભજવે છે.
કાર્યક્રમ દરમિયાન આચાર્યશ્રી તથા અધ્યાપકોએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણનો સાચો અર્થ માત્ર છોડ રોપવા પૂરતો સીમિત નથી, પરંતુ તે ઘટાદાર વૃક્ષ બને ત્યાં સુધી તેનું નિયમિત જતન અને સંરક્ષણ કરવું જરૂરી છે.
‘એક વિદ્યાર્થી–એક વૃક્ષ’ના વિચારને સમાજમાં વિસ્તારવા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને એક-એક રોપો અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સફળ આયોજન સપ્તધારા અધ્યક્ષ અને વિકાસ સપ્તાહના નોડલ ઓફિસર ડૉ. પ્રીતિબેન પટેલ, પી.ટી.આઈ. પ્રા. ભુપેન્દ્રભાઈ, ડૉ. વિજયભાઇ ખાંડરા, ડૉ. ખુમારજભાઈ સહિત કૉલેજના તમામ અધ્યાપકો અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.