

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ), રાજકોટ દ્વારા “નિડર નિર્ધાર – ભયમુક્ત પરીક્ષા” સેમિનારનું ભવ્ય આયોજન
રાજકોટ | ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ), રાજકોટ મહાનગર દ્વારા આજે રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના મનોબળને વધારવા અને તેમને તણાવમુક્ત કરવાના હેતુથી “નિડર નિર્ધાર – ભયમુક્ત પરીક્ષા” વિષય પર એક ભવ્ય સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીજીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, “આજના વિદ્યાર્થીઓ એ ભગતસિંહના સંસ્કૃતિ વારસાના વાહક છે, તો પરીક્ષાથી ડરવાને બદલે ચિંતા મુક્ત બનીએ. ‘સીધી એને જય વરે, જે પરસેવે નહાય’ એ સૂત્રને સાર્થક કરી સખત પુરુષાર્થ કરવો જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અભાવિપ એ આપવામાં માને છે, એટલે જ સમાજ, વિદ્યાર્થી અને શિક્ષણ જગત માટે વિના સ્વાર્થે કાર્ય કરે છે. આવા ‘નિડર નિર્ધાર’ જેવા કાર્યક્રમો આજના યુવાઓ માટે ખૂબ જરૂરી છે.”
અભાવિપના રાષ્ટ્રીય મંત્રી શ્રી હર્ષિત નનોમા જીએ યુવા પેઢીને આહવાન કરતા જણાવ્યું હતું કે, “આજના સમયે યુવાનોએ સ્વામી વિવેકાનંદ અને ભગતસિંહ જેવી મહાન વિભૂતિઓ પાસેથી શીખવાની જરૂર છે. આજના યુવાનો ‘સ્ક્રીન ટાઈમ થી એક્ટિવિટી ટાઈમ’ પર આવી રાષ્ટ્રને સમર્પિત બને તે અનિવાર્ય છે.”
કાર્યક્રમમાં ઉપસ્થિત અભાવિપ ગુજરાત પ્રદેશના સહ મંત્રી શ્રી ઋત્વિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આપણે આ સનાતન સંસ્કૃતિના વાહક છીએ, આપણને કોઈ ડર ડરાવી શકે નહીં.”
કાર્યક્રમની વિશેષતાઓ:
વિદ્યાર્થીઓની સહભાગીતા: રાજકોટની વિવિધ શાળાઓમાંથી ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
પ્રતિષ્ઠિત ઉપસ્થિતિ: વિવિધ શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓ અને અગ્રણી શિક્ષણવિદોએ હાજર રહી વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું.
All
મુખ્ય ઉદ્દેશ્ય: પરીક્ષાને ડર નહીં પણ ઉત્સવ માની, જ્ઞાન અને ચરિત્ર નિર્માણના પથ પર આગળ વધવાની પ્રેરણા પૂરી પાડવી.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અભાવિપ રાજકોટની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ નોટ અભાવિપ રાજકોટ મહાનગર કાર્યાલય મંત્રી પ્રદ્યુમનગિરી ગોસ્વામી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
રિપોર્ટ :- મીત અનડકટ