
*સુશાસન સપ્તાહની ઉજવણી સંદર્ભે ડાંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે કાવ્યપઠન, કાવ્ય લેખન, નિબંધ લેખન અને વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૪:
સુશાસન એટલે પ્રજાનું કલ્યાણ થાય તે માટે કરવામાં આવતું લોકહિતાર્થનું કામ. જેને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીની ૧૦૦ મી જન્મજયંતી નિમિત્તે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ‘સુશાસન દિવસ: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણી દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ અટલ બિહારી વાજપેયીજીના સમગ્ર વ્યક્તિત્ત્વથી માહિતગાર થાય તે હેતુથી ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થાઓને અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦ મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું સૂચન કરેલ હતું. જે સંદર્ભે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે તારીખ ૧૬ થી તા. ૨૪ દરમિયાન આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ આ ઉજવણી નિમિત્તે સપ્તધારાની વિવિધ ધારાઓ દ્વારા કાવ્યપઠન, કાવ્ય લેખન, નિબંધલેખન અને વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત કાવ્યપઠનમાં આઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સ્થાન નિમ્બારે હેતલબેને પ્રાપ્ત કર્યું હતું. જ્યારે કાવ્યલેખનમાં રાસ્તી ત્રિવેદીએ પ્રથમ સ્થાન અને નિબંધલેખનમાં નાયક હેતલબેને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
વ્યાખ્યાનમાળા અંતર્ગત ત્રણ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાજપેયીજીના રાજકીય જીવન પર પ્રો.ઉમેશ હડસજીએ પોતાનું આગવું વક્તવ્ય આપ્યું હતું. જેમાં અટલ બિહારી વાજપેયીના આદર્શ વ્યક્તિત્વથી માહિતગાર કર્યા હતાં. અટલ બિહારી વાજપેયી સિદ્ધાંતવાદી, સંયમી, દૂરદર્શી અને લોકશાહી મૂલ્યોના પ્રબળ સમર્થક હતા.વિરોધમાં હોય કે સત્તામાં, તેમણે મર્યાદિત ભાષા, સ્વસ્થ ચર્ચા અને સર્વદલીય સહમતિની પરંપરાને મજબૂત કરી હતી. તેમનું વ્યક્તિત્વ સૌ માટે પ્રેરણારૂપ છે.
પ્રા. દિલીપ ગાવિતે અટલજીની કાવ્ય-દૃષ્ટિ અને સાહિત્યિક યોગદાન પર વ્યાખ્યાન આપ્યું હતું અને જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી માત્ર રાજનેતા જ નહીં પરંતુ સંવેદનશીલ કવિ પણ હતા. તેમની કવિતાઓ રાષ્ટ્રપ્રેમ, માનવીય સંવેદના, શાંતિ અને આશાનો સશક્ત સ્વર છે. સરળ, સરસ ભાષામાં તેઓ ગહન ભાવ અને જીવન-સત્ય કહી જતા હતા. “હાર નહીં માનૂંગા” જેવી રચનાઓ સંઘર્ષની પ્રેરણા આપે છે.
પ્રો. પિંટિયા મહલાએ અટલજીના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર વ્યાખ્યાન આપ્યું હતું અને જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે અટલજીએ ભારતના મૂળભૂત માળખા, પરમાણુ આત્મનિર્ભરતા અને રાજદ્વારી ઓળખને નવું પરિમાણ આપ્યું હતું. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના, સાર્થક સંવાદ-નીતિ અને ગઠબંધન રાજકારણને સ્થિરતા આપવી તેમની મોટી સિદ્ધિઓ છે. તેમણે વિકાસ, સુરક્ષા અને લોકશાહીના સંતુલનને પ્રાથમિકતા આપી હતી.
–