

અરવલ્લીમાં ન્યુ એપી એમ સી માર્કેટ મોડાસા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો સફળતાપૂર્વક યોજાયો…ખેડૂતોને ઝેરમુક્ત ખેતીની પ્રેરણા મળી
રિપોર્ટર સાકીર ટીટોઇયા
કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન…અરવલ્લીમાં જમીન-સ્વાસ્થ્ય બચાવવાની ઝુંબેશને વેગ મળ્યો
અરવલ્લી જિલ્લા પંચાયત અને પ્રાકૃતિક કૃષિ બોર્ડના મેળાએ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનું પ્લેટફોર્મ આપ્યું
અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા અને ખેડૂતોને ઓછા ખર્ચે ટકાઉ ખેતી અપનાવવા માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ તથા કૃષિ પ્રત્યે રસ ધરાવતા અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, માન. પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, અરવલ્લી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે શ્રી નિર્ભયસિંહ બી. રાઠોડ, માન. ઉપપ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, અરવલ્લી હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, માન. પ્રમુખશ્રી, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, જીવામૃત-બીજામૃત જેવા ઓછા ખર્ચના ઇનપુટ્સ, દેશી ગાય આધારિત ખેતી, જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો તથા સફળ પ્રાકૃતિક ખેડૂતોના અનુભવોનું પ્રદર્શન અને વિસ્તૃત પરિચય કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખેતીના દુષ્પરિણામો જેમ કે જમીન બંજર થવી અને આરોગ્ય સમસ્યાઓથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પ્રેરણા આપવાનો હતો, જેથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, આરોગ્યપ્રદ ખોરાક અને પર્યાવરણ સંરક્ષણના લાભો મળી શકે.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની વિવિધ યોજનાઓ જેમ કે દેશી ગાય આધારિત સહાય વગેરે વિશે પણ વિસ્તૃત જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ મેળો ખેડૂતો માટે નિષ્ણાતો સાથે વાતચીત, તાલીમ અને પ્રેરણાદાયી પ્લેટફોર્મ સાબિત થયો હતો, જેથી અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકે.