

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે વાલ્મિકી આશ્રમના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ
વિશ્વ હિન્દુ પરિષદના અનિરુદ્ધસિંહ ગોહિલ અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને કંપાસનું વિતરણ
ગરૂડેશ્વર, નર્મદા: ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામે આવેલ વાલ્મિકી આશ્રમ ખાતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રોત્સાહન માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અનિરુદ્ધસિંહ ગોહિલ તેમજ સ્થાનિક ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે આશ્રમના વિદ્યાર્થીઓને નોટબુક, પેન, કંપાસ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે ગુરુનું સ્થાન જીવનમાં સર્વોચ્ચ છે. ગુરુના માર્ગદર્શન, સંસ્કાર અને શિક્ષણ દ્વારા જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાના શિખરો સર કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા તેમજ માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે આદરભાવ રાખવાની પ્રેરણા આપી હતી.
શૈક્ષણિક સામગ્રી પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ છવાઈ ગયો હતો. આશ્રમના સંચાલક કમલાકર મહારાજ ઘ્વારા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરતાં સમાજના સક્ષમ અને સેવાભાવી લોકો શિક્ષણ ક્ષેત્રે આવા લોકહિતના કાર્યોમાં વધુને વધુ સહભાગી બને તેવી આશા વ્યક્ત કરી હતી.
ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે નવી પ્રેરણા, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો ઉત્સાહ જાગૃત થયો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ, પ્રેરણાદાયી અને સેવાભાવના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
રિપોર્ટર…ભાઈલાલભાઈ બારીયા
નર્મદા