

*ડાંગ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલમાં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમોથી મંત્રમુગ્ધ કર્યા*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ (સાપુતારા)*
ડાંગ જિલ્લામાં તા. ૨૩ અને તા. ૨૪ના રોજ બે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૩ના રોજ તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસૂર્ણા ખાતે બ્રહ્મવાદિની પૂ. ડો. હેતલદીદીના સાનિધ્યમાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નવરસ ગ્રુપના આદિવાસી કલાકારોએ ડો.જય વશી ના માર્ગદર્શન હેઠળ લોકગીતો, પૌરાણિક ગીતો તથા ગરબાની મનમોહક રજૂઆત કરી હતી. આદિવાસી કલાકારોની કલાત્મક રજૂઆતને ઉપસ્થિત પ્રેક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી.
પૂ. ડો. હેતલદીદીના માર્ગદર્શન અને પ્રયત્નોથી નવરસ ગ્રુપના આદિવાસી બાળકો અને યુવાનો વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે. તેજસ્વિની સંસ્કૃતિ ધામનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના ગામોના આદિવાસી યુવાનોને પોતાની અંદર રહેલી પ્રતિભા અને કૌશલ્યને પ્રગટ કરવાની તક પૂરી પાડવાનો છે. સંસ્થા દ્વારા યુવાનોના વ્યક્તિત્વ વિકાસ તથા ચારિત્ર્ય નિર્માણ માટે પણ નોંધપાત્ર અને ઉમદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમ બાદ તા. ૨૪ના રોજ હેતલદીદીના માર્ગદર્શન હેઠળ નવરસ ગ્રુપના કલાકારોએ સાપુતારા ખાતે આયોજિત સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ–૨૦૨૬માં પણ પોતાની કળાનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું. લોકસંસ્કૃતિ, પૌરાણિક કથાઓ અને નૃત્યની સુંદર રજૂઆત દ્વારા કલાકારોએ ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત પ્રેક્ષકોએ તમામ આદિવાસી કલાકારોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આદિવાસી યુવાનોમાં રહેલી કલા અને પ્રતિભાને યોગ્ય મંચ મળે તે માટે ભવિષ્યમાં પણ આવા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા પાઠવી પૂ. ડો. હેતલદીદીએ તમામ કલાકારોને આશીર્વાદ આપ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમો દ્વારા આદિવાસી યુવાનોની કલા, સંસ્કૃતિ અને પ્રતિભાને મંચ મળવાની સાથે તેમની અંદર રહેલા આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને પણ નવી ઉડાન મળી છે. વધુ માં પ્રેક્ષકોનો ઉત્સાહ તેમજ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને કાર્યક્રમ પસંદ પડતા આજે ફરી રજૂઆત કરવા માટે પૂ.હેતલદીદી સંચાલિત તથા ડૉ . જય વશી માર્ગદર્શિત આ આદિવાસી બાળકો નાં નવરસ ગૃપને આજે પુનઃ પ્રસારણ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.