શાળા ના 110 થી વધારે વિદ્યાર્થિઓએ આચાર્ય, શિક્ષક, અને સેવક બની એક દિવસ માટે શાળા નું સંચાલન કર્યું
આજન દિવસના આચાર્યા પંચાલ માહી તેમજ સુપરવાઇઝર તરીકે પ્રજાપતિ ભવ્યા અને બારોટ ધાર્મિકે ખુબજ સુંદર કામગીરી કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
બ્યુરો રિપોર્ટ ઇન્ડિયન ટીવી ન્યુઝ પાટણ ગુજરાત
સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરી પાટણ માં શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત *શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં* 5 સપ્ટેમ્બર, 2024ના રોજ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષક દિનને યાદગાર બનાવ્યો.
આ વિશેષ દિવસે, ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની પંચાલ માહીએ આચાર્ય તરીકે નિમણૂક મેળવી, જ્યારે પ્રજાપતિ ભવ્યાએ ઉચ્ચતર માધ્યમિકના સુપરવાઇઝર તરીકે અને બારોટ ધાર્મિકે માધ્યમિક વિભાગના સુપરવાઇઝર તરીકે પોતાની ફરજ અદા કરી. લગભગ 110 થી વધારે વિદ્યાર્થીઓએ પણ શિક્ષક અને સેવકભાઈઓ તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી.
આ કાર્યક્રમના સંકલન અને આયોજનમાં ઠાકોર વિરમજી સાહેબ, ડૉ. ગાયત્રીબેન રાવલ, અણિયાળીયા આરતીબેન અને વાલ્મીકી નટુભાઈ અને જલ્પાબેન પટેલે મહત્ત્વની ભૂમિકા ભજવી.
કાર્યક્રમની શરૂઆતમાં, વિદ્યાર્થીઓએ પોતાની વર્ગખંડમાં શિક્ષક તરીકેના જ્ઞાનનું પ્રદર્શન કર્યું અને તેમના નૈતિક ફરજને નિભાવવાની અનુભૂતિ કરી. 6 તાસના શૈક્ષણિક અભ્યાસ પછી, તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં એકત્રિત કરવામાં આવ્યા, જ્યાં આજના આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષક અને સેવકભાઈ બનેલા વિદ્યાર્થીઓએ તેમના ખાસ અનુભવ અને ભાવનાઓ વ્યક્ત કરી. અંતે એ નિષ્કર્ષ પર નીકળ્યા કે શિક્ષક બનવું સહેલું નથી.
કાર્યક્રમનું સફળ સંચાલન ઠાકોર પલક અને ઠાકોર નિરાલીએ કર્યું, અને અંતે એક સ્મૃતિમય ફોટોસેશન સાથે કાર્યક્રમનો સમાપન થયો.
શાળાના આચાર્યશ્રી ધનરાજભાઈ ઠક્કરે, વિદ્યાર્થીઓની આ કામગીરીની પ્રશંસા કરી અને ભવિષ્યમાં તેમનાં સર્વાગી વિકાસ માટે શુભકામનાઓ પાઠવી.