

*સાપુતારા ખાતે શાળાના આચાર્યો અને વિજ્ઞાન શિક્ષકો માટે ૫ દિવસીય “કલ્ચર ઓફ લર્નિંગ” વર્કશોપનું આયોજન*
*ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા અને વિજ્ઞાન વિષયને વધુ રસપ્રદ બનાવવા પ્રયાસ*
ઝાકિર ઝંકાર : આહવા
તા. ૧૮
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી–ડાંગના સંયુક્ત ઉપક્રમે એસ્પીરેશનલ બ્લોક સુબીરની આશરે ૩૫ શાળાઓના આચાર્યો તથા વિજ્ઞાન શિક્ષકો માટે ૫ દિવસીય “કલ્ચર ઓફ લર્નિંગ વર્કશોપ ફોર સ્કૂલ લીડર્સ એન્ડ ટીચર્સ”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપનું આયોજન એલટીઆઈ માઇન્ડટ્રી, મુંબઈ, લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (LTPCT), મુંબઈ તથા અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, બેંગલોરના સહયોગથી કરવામાં આવ્યું છે.
વર્કશોપનું ઉદ્ઘાટન ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી નિરીક્ષક શ્રી વિજયભાઈ ખાંભુ, ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી શ્રી ચિંતન પટેલ, LTPCTના કોઓર્ડિનેટર શ્રીમતી હર્ષલા સંઘવી તથા શ્રી અરુણજી અને અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ચીફ એક્સપિરિયન્સ લીડર શ્રી વિક્રાંત સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપ દરમિયાન શાળા આચાર્યો અને શિક્ષકોને શાળા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ અનુભવાત્મક (Experiential) પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ આપવામાં આવશે. ઉપરાંત, વિજ્ઞાન વિષયને વધુ સરળ, રસપ્રદ અને સમજણસભર બનાવવા હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ તથા લો-કોસ્ટ મોડલ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવશે, જેનો ઉપયોગ શાળાની વિજ્ઞાન પ્રયોગશાળામાં કરી શકાશે.
આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓના અમલથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસશે, વિજ્ઞાન વિષય પ્રત્યે રસ વધશે અને અભ્યાસ વધુ અસરકારક બનશે. સાથે સાથે, વર્કશોપ દરમિયાન પ્રાપ્ત થયેલા શૈક્ષણિક અભિગમો અને પ્રવૃત્તિઓ શિક્ષકો તેમના દૈનિક શિક્ષણ કાર્યમાં અમલમાં મૂકી શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરી શકશે.