

*અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલની ૩૪ વર્ષની સેવાની નિવૃત્તિ: સિદ્ધિ અને સમર્પણનો કાર્યકાળ*
*માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો*
*માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીની પ્રેરક ઉપસ્થિતિ*
*સરકારની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડતું મહત્વનો વિભાગ – માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે*
*ઝાકિર ઝંકાર : ડાંગ*
માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે માહિતી કમિશનર શ્રી કે.એલ.બચાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નિવૃત્ત થઈ રહેલા શ્રી અરવિંદ પટેલની સેવાઓને બિરદાવતા માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, શ્રી અરવિંદ પટેલ અત્યંત કર્મઠ, બુદ્ધિશાળી અને ધૈર્યવાન વ્યક્તિત્વ છે. મીડિયા અને જનસંપર્ક જેવા પડકારજનક ક્ષેત્રમાં તેમણે અત્યંત સૂઝબૂઝથી કાર્ય કર્યું છે. અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલની ૩૪ વર્ષની સેવાની નિવૃત્તિએ સિદ્ધિ અને સમર્પણનો કાર્યકાળ રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માહિતી વિભાગ એ સરકારની કામગીરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડતો અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ છે. મર્યાદિત સંશાધનો અને સતત મીડિયાના સંપર્ક વચ્ચે સરકારનું સંકલન કરવાની તેમની પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે.
માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીએ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, જ્યારે પણ મીડિયા મેનેજમેન્ટ કે વહીવટી પ્રક્રિયાઓમાં જટિલ સ્થિતિ સર્જાતી હોય છે, એવા સમયે શ્રી અરવિંદ પટેલની સમય સૂચકતા અને ત્વરિત નિર્ણયશક્તિ હંમેશા માહિતી વિભાગના વહારે આવી છે. ૨૪ કલાક ફરજ માટેની તેમની તત્પરતાએ માહિતી ખાતાની કામગીરીને ગૌરવ અપાવ્યું છે. તેમની કાર્યસંસ્કૃતિ નવા અધિકારીઓ માટે દીવાદાંડી સમાન બની રહેશે તેવો કમિશનરશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારી શ્રી વિવેક ત્રિવેદીએ શ્રી અરવિંદ પટેલના સાથેના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી કે મુખ્યમંત્રીશ્રીના મોટા કાર્યક્રમોમાં જ્યારે મીડિયા પ્લાનિંગના જટિલ પ્રશ્નો ઉભા થતા, ત્યારે શ્રી પટેલનું શાંત રહીને સચોટ સમાધાન લાવવાનું કૌશલ્ય ‘ક્રાઈસિસ મેનેજમેન્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ સમારંભમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી સંજય કચોટે સૌને આવકારી પોતાના અનુભવો તાજા કર્યા હતા, અને ચારેય ઝોનના સંયુકત નિયામક સર્વશ્રી મિતેશ મોડાસિયા, જયેશ દવે, અરવિંદ મછાર, હેતલ દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં પટેલ સર સાથેના એમની કામગીરીના અનુભવોનું ભાથું પીરસીને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપી હતી. જ્યારે સમાચાર શાખાના નાયબ માહિતી નિયામક શ્રી દિલીપ ગજ્જરે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે શ્રી પટેલ સાહેબના પરિવારજનો, માહિતી કમિશનરની કચેરી સહિત વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પટેલ સાહેબને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.