ફૈઝ ફાઉન્ડેશન, માંગરોળ દ્વારા કરિયર માર્ગદર્શન સેમિનાર તથા પ્રતિભા સન્માન સમારોહ યોજાયો
માંગરોળ ખાતે ફૈઝ ફાઉન્ડેશન દ્વારા ધોરણ 11-12 સાયન્સ તેમજ NEETના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી કરિયર માર્ગદર્શન સેમિનાર તથા પ્રતિભા સન્માન સમારોહનું સફળ આયોજન હાશ્મી હોલ, માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદથી પધારેલાં અંજુમભાઈ શોરા, સુરતથી પધારેલાં અનીસભાઈ અભંગ તથા વાંકાનેરથી પધારેલાં ઉઝેરભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દીનું યોગ્ય આયોજન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં માંગરોળની વિવિધ શાળાઓના પ્રિન્સિપાલો, નિયામકો, શિક્ષકો, વાલીઓ તેમજ ધોરણ 11 અને 12 સાયન્સના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન ઈરફાનભાઈ પટેલ તથા એજાજભાઈ કાલવાત દ્વારા કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કાર્યક્રમના અંતે ફૈઝ ફાઉન્ડેશન સેક્રેટરી યુનુસ કુલાળા દ્વારા ઉપસ્થિત મહેમાનો, શિક્ષણવિદો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સહયોગી તમામ વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા ફૈઝ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી..
રિપોર્ટ.. ઇમરાન બાંગરા
માંગરોળ….