
*આહવા ગામના કચરા અને દુર્ગંધથી લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ*
*આશ્રમ પાછળ ઠલવાતા કચરાથી બાળકોની હોસ્ટેલ સહિત રહેણાંક વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું જોખમ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગામમાં કચરા અને દુર્ગંધની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આહવા ગામના આશ્રમ પાછળ સમગ્ર ગામનો કચરો નાખવામાં આવતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કચરાના સ્થળથી માત્ર આશરે 100 મીટરના અંતરે બાળકોની હોસ્ટેલ તેમજ અનેક પરિવારોનાં રહેઠાણો આવેલા હોવાથી લોકોના આરોગ્ય અને બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કચરાના ઢગલાના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સાથે જ મચ્છર-માખીનો ઉપદ્રવ વધતા ગંદકી અને રોગચાળાનું જોખમ ઊભું થયું છે. રહેણાંક વિસ્તારની નજીક કચરો ઠલવાતો હોવાને કારણે બાળકો સહિત સ્થાનિક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા અંગે ગ્રામપંચાયત સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર કચરા વ્યવસ્થાપન માટે અસરકારક અને કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.
સ્થાનિકોએ સરપંચ અને ગ્રામપંચાયતને અપીલ કરી છે કે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કચરાના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને રહેણાંક તથા હોસ્ટેલ નજીક કચરો નાખવાનું બંધ કરવામાં આવે.
અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે વર્ષોથી સમસ્યા યથાવત્ રહેતા હવે માત્ર વચનો નહીં પરંતુ નક્કર કાર્યવાહી જોઈએ છે. ગ્રામપંચાયત સ્તરે તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આહવા-દેવલપાડા વિસ્તારના અસરગ્રસ્ત પરિવારો આગામી ગ્રામપંચાયત ચૂંટણીમાં લોકશાહી રીતે બહિષ્કાર અંગે નિર્ણય લેવાની ચેતવણી આપી રહ્યા છે.
આ ઉપરાંત, ગ્રામપંચાયત તરફથી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અસરગ્રસ્ત પરિવારો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી સમગ્ર મામલે રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.
સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગ કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ ગંદકી, બેદરકારી અને જાહેર આરોગ્યના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે છે.
સ્થાનિકોની એક જ માંગ — હવે વચન નહીં, કાયમી ઉકેલ જોઈએ; આહવા સ્વચ્છ અને સ્વસ્થ જોઈએ.