

**GMDC લિગ્નાઈટ પ્રોજેક્ટ મુદ્દે પુનરાજપુર ગ્રામ પંચાયતની રજૂઆત
GMDCના એમ.ડી.ને રૂબરૂ આવેદન, ગ્રામજનોના હિત અંગે ચર્ચા**
પુનરાજપુર (તા. લખપત):
લખપત તાલુકાના પુનરાજપુર જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા પ્રસ્તાવિત લિગ્નાઈટ માઈન્સ પ્રોજેક્ટને લઈને ગ્રામ પંચાયત અને ગ્રામજનોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે પુનરાજપુર જૂથ ગ્રામ પંચાયત દ્વારા GMDCના માનનીય મેનેજિંગ ડિરેક્ટર (MD) સાહેબને રૂબરૂ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનોના પ્રશ્નો અંગે વિસ્તૃત મૌખિક ચર્ચા કરવામાં આવી હતી.
ગ્રામ પંચાયત તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે પુનરાજપુર ગામનો જમીન જંત્રી ભાવ હાલ માત્ર રૂ. ૫૪ પ્રતિ ચોરસ મીટર નક્કી થયો છે, જ્યારે આસપાસના ગામોમાં આ ભાવ રૂ. ૩૫૦ સુધી છે, જે ગંભીર અન્યાય સમાન છે. આથી જંત્રી પ્રમોલગેશન તાત્કાલિક પૂર્ણ કરી જમીન સંપાદન સમયે યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.
આ ઉપરાંત, લિગ્નાઈટ માઈન્સ કામગીરી શરૂ થાય તો ખેતી, પશુપાલન, ગૌચર જમીન અને પર્યાવરણને ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ખાણખોદ દરમિયાન ઉડતી કોલસાની ધૂળથી ખેતીની જમીન, પશુધન અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાનું જણાવાયું હતું. ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલા તળાવ, ડેમ, મંદિર, સ્મશાન અને જાહેર સુવિધાઓને પણ નુકસાન પહોંચવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક લોકોની રોજગારીનો મુદ્દો પણ ભારપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો. જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડુતોના પરિવારને કાયમી નોકરી આપવામાં આવે તેમજ માઈન્સ સંબંધિત મશીનરી, ડમ્પર, ટેન્કર વગેરે સાધનો સ્થાનિક લોકો પાસેથી ભાડે લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
GMDCના એમ.ડી. સાહેબે ગ્રામ પંચાયતની રજૂઆત ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને આ સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લઈને આગળની જાણ કરવાની ખાતરી આપી હતી.
અંતે, પુનરાજપુર જૂથ ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે સરકાર અને GMDC ગ્રામજનોના હિત, પર્યાવરણ સંરક્ષણ અને ન્યાયસંગત વળતર અંગે સકારાત્મક અને યોગ્ય નિર્ણય લેશે.
રિપોર્ટ બાય આદમ નોતિયાર