

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા માં જીવદયા અને પક્ષી સંરક્ષણ માટે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલનો પ્રારંભ થયો છે. નગરના ઇતિહાસમાં પ્રથમવાર 31 ફૂટ ઊંચા વિશાળ પક્ષીઘર અને ચબૂતરાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત દેવગઢ બારિયાના રાજમાતા ઉર્વશીદેવીના વરદ હસ્તે સંપન્ન થયું છે.
નગરના પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવ કિનારે નિર્માણ પામનાર આ આધુનિક પક્ષીઘરમાં એકસાથે અંદાજે 500 જેટલા પક્ષીઓને સુરક્ષિત આશ્રય મળી શકશે. સાથે જ પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા સાથે સુંદર ચબૂતરાનું પણ નિર્માણ કરવામાં આવશે. ચોમાસાના ભારે વરસાદ અને શિયાળાની કડકડતી ઠંડીમાં અબોલ પક્ષીઓને સુરક્ષિત આશ્રય મળે તે હેતુથી આ સેવાકીય કાર્ય હાથ ધરાયું છે.
આ સમગ્ર સેવાકીય કાર્ય માટેનો આર્થિક સહયોગ અમેરિકા સ્થિત દાતા પરિવાર દ્વારા આપવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ પરેશભાઈ મજમુદારના 80મા જન્મદિવસની સ્મૃતિમાં તેમની પુત્રી નિપાબેન તેમજ તેમની પુત્રીઓ લાયા અને નયા દ્વારા પક્ષીઘર અને ચબૂતરાના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે.
આ પ્રેરણાદાયી પ્રોજેક્ટનો સંકલ્પ સામાજિક કાર્યકર નીલ સોની દ્વારા કરવામાં આવ્યો છે. આગામી એક મહિનામાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જીવદયા, સેવા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું આ અનોખું કાર્ય હવે દેવગઢ બારિયાની નવી ઓળખ બની રહ્યું છે.
રિપોર્ટર દર્શન સુતરીયા