ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ટંકારી ભાગોળથી દશામાતાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ
અષાઢ વદ અમાસથી દશામાતા વ્રતનો પ્રારંભ થનાર હોવાથી જંબુસર પંથકમાં દશામાતાની મૂર્તિ તથા પૂજા સામગ્રીની ખરીદી માટે બજારોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દશામાતા વ્રતને લઈને માઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.
જંબુસરની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે જગદીશભાઈ ચંદુભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને દર વર્ષની પરંપરા મુજબ દશામાતાની સ્થાપના કરવામાં આવનાર છે. જેને લઈને મંગળવારે સાંજે ટંકારી ભાગોળ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસેથી દશામાતાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગમન યાત્રા પૂર્વે ભવ્ય ફાયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દશામાતાની આરતી કરવામાં આવી હતી. આરતી બાદ ડીજેના તાલે ભક્તિ સંગીત સાથે દશામાતાની આગમન યાત્રા ટંકારી ભાગોળથી પ્રસ્થાન કરી હતી.
આગમન યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે આગમન યાત્રા સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક વિધિ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
દશામાતાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને દશામાતાના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
રિપોર્ટર-જંબુસર થી ગંભીરસિંહ મકવાણા