

શામળદાસ આર્ટ્સ કોલેજના ઉપક્રમે ‘કવિ કાન્ત’ ડોક્યુમેન્ટરીએ વિદ્યાર્થીઓને કરાવ્યો સાહિત્યનો જીવંત અનુભવ
ભાવનગર, ૨૦૨૬: શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગર દ્વારા પૂર્વાલાપ ફાઉન્ડેશનના સહયોગથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત અટલ ઓડિટોરિયમ ખાતે અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કવિ કાન્ત’ના જીવન અને સાહિત્ય પર આધારિત ડોક્યુમેન્ટરીનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કવિ કાન્તના વ્યક્તિત્વ, કૃતિત્વ અને જીવનદર્શન સાથે દૃશ્યશ્રાવ્ય માધ્યમ દ્વારા પરિચિત કરાવવાનો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. (ડૉ.) ભરતભાઈ. બી. રામાનુજ બિરાજમાન રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે કવિ કાન્તના પ્રપૌત્રી શ્રીમતી સોનલ ભટ્ટ-જૈન ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગાનથી થયો હતો. ત્યારબાદ શામળદાસ આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉ. વિશ્વાસ જોષીએ સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે સાહિત્યને દૃશ્યશ્રાવ્ય માધ્યમ સાથે જોડતા આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે અનુભૂતિમૂલક શિક્ષણનો ઉત્તમ અવસર પૂરો પાડે છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રસિંહ પરમારએ કવિ કાન્તના જીવન, સાહિત્ય, તત્ત્વચિંતન અને સત્યની શોધ અંગે વિસ્તૃત પ્રાસંગિક વ્યાખ્યાન આપ્યું. ત્યારબાદ સુપ્રસિદ્ધ કવિ શ્રી વિનોદ જોષીએ કવિ કાન્તના વ્યક્તિત્વ અને ભાવનગર સાથેના તેમના ગાઢ સંબંધો પર પ્રકાશ પાડ્યો. કુલપતિશ્રી એ અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે કવિ કાંતે ગુજરાતી કવિતાઓ ને એક નવી દિશા ,નવી ઊંચાઈ અને નવી સંવેદનાઓ આપી છે એટલું જ નહીં પરંતુ કવિ કાન્ત ના શબ્દોમાં રહેલી , સંવેદના માનવતા જીવન મૂલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ. આ ઉપરાંત ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે યુવા પેઢીમાં વધતા રસની પ્રશંસા કરી અને આવા શૈક્ષણિક કાર્યક્રમોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
ડોક્યુમેન્ટરીના નિર્દેશક શ્રી જય ખોલિયાએ ફિલ્મના નિર્માણપ્રવાસ અંગે માહિતી આપતાં જણાવ્યું કે કવિ કાન્તના જીવન પર આધારિત આ પ્રથમ પૂર્ણલંબાઈનું ડોક્યુમેન્ટરી છે, જે એક સદીથી વધુ જૂના દસ્તાવેજો, પત્રવ્યવહાર અને ઐતિહાસિક સંદર્ભોના ગહન સંશોધન પર આધારિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે ફિલ્મનું મોટાભાગનું ચિત્રણ મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં ‘Cinema of Prayoga’ના સર્જનાત્મક અભિગમને અનુસરવામાં આવ્યો છે.
ત્યારબાદ ‘કવિ કાન્ત’ જીવન આધારિત ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રથમ પુરુષ કથનશૈલી, ઐતિહાસિક સંશોધન, દૃશ્યાત્મક અભિવ્યક્તિ અને કવિ કાન્તના પત્રો તથા લખાણોના સર્જનાત્મક ઉપયોગને કારણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકોએ ડોક્યુમેન્ટરીને ખૂબ સરાહી હતી.
પ્રદર્શન બાદ યોજાયેલા પ્રતિભાવ અને પ્રશ્નોત્તરી સત્રમાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા અને ડોક્યુમેન્ટરીના સંશોધન, નિર્માણપ્રક્રિયા, સિનેમેટોગ્રાફી, કવિ કાન્તના જીવનદર્શન અને દસ્તાવેજી ફિલ્મ નિર્માણ અંગે વિચારપ્રેરક પ્રશ્નો પૂછ્યા હતા. ડોક્યુમેન્ટરીના નિર્દેશક શ્રી જય ખોલિયાએ તમામ પ્રશ્નોના તથ્યાધારિત અને વિસ્તૃત જવાબો આપતાં વિદ્યાર્થીઓને સંશોધન, વાંચન અને સર્જનાત્મક અભિગમ માટે પ્રેરિત કર્યા.
કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રીમતી ગાંધી મહિલા આર્ટ્સ કોલેજ, એલ.આર. વળિયા આર્ટ્સ એન્ડ પી.આર. મહેતા કોમર્સ કોલેજ, કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ, મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા માતુશ્રી રતનબેન રામજીભાઈ મોણપરા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના સફળ આયોજનમાં આચાર્યશ્રી ડો. વિશ્વાસભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ, સુઆયોજિત સંકલન તેમજ શામળદાસ આર્ટ્સ કોલેજના અધ્યાપકો, બિનશૈક્ષણિક કર્મચારીઓના સક્રિય સહયોગ તથા સમર્પિત સંકળાણનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે યાદગાર, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહ્યો.